ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 132 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો છે. છેલ્લા બે દિવસથી રાજ્યના મોટાભાગના તાલુકાઓમાં મધ્યમથી ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે અને જનજીવન પણ પ્રભાવિત થયું છે.
છેલ્લા 24 કલાકની વાત કરીએ તો ખેડાના કપડવંજમાં સૌથી વધુ 4.8 ઈંચ વરસાદ નોંધાયો છે. તો તળાજામાં 3.1 ઈંચ અને તલોદમાં 2.7 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે અન્ય તાલુકાની વાત કરવામાં આવે તો તાલાલામાં 3.11 ઇંચ, તલોદમાં 2.7 ઇંચ,વઢવાણમાં 2.09 ઇંચ, નવસારીમાં 2.05 ઇંચ, વિસનગરમાં 2.05 ઇંચ, દાંતીવાડામાં 1.77 ઇંચ, અંકલેશ્વરમાં 1.73 ઇંચ, ઉમરગામમાં 1.65 ઇંચ, ગઢડામાં 1.65 ઇંચ, જલાલપોરમાં 1.46 ઇંચ, સિનોરમાં 1.42 ઇંચ, બાલાસિનોરમાં 1.30 ઇંચ અને ઘોઘામાં 1.30 ઈંચ વરસાદ સરકારી ચોપડે નોંધાયો છે.
આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી
સાથે જ હવામાન વિભાગે ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે રાજ્યભરમાં વરસાદી માહોલ જામશે અને ભારે વરસાદ પડશે. જેમા બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, ખેડા, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, તાપી, અમરેલી અને બોટાદ જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે. તો માછીમારોને આગામી સમય માટે દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.









